GUJARAT

સુરતમાં ખેલાયો ખુની ખેલ, પિતા-પુત્ર અને સંબંધીને બે કારીગરે રહેંસી નાંખ્યા

અમરોલીના અંજની ઇન્ડસ્ટ્રીયલ રોડ પર આવેલા વેદાંત ટેક્ષો નામની ઇન્ડસ્ટ્રીયલ સોસાયટીના એમ્બ્રોઇડરી કારખાનામાં નાઇટ શીફ્ટમાં સૂતેલા બે કારીગરોને કારખાનેદાર પિતા-પુત્રએ ઠપકો આપી નોકરીમાંથી કાઢી મુક્યા બાદ બાકી પગાર મુદ્દે ઝઘડો કરી ચપ્પુ અને ફટકા વડે ઉપરાછાપરી ઘા ઝીંકી રહેંસી નાંખ્યા હતા. જયારે બચાવવા જનાર કારખાનેદારના વૃધ્ધ સાળાને પણ ફટકા અને ચપ્પુના ઘા ઝીંકતા તેમનું પણ મોત નીપજયું હતું. બે કારીગરોએ કારખાનેદાર પિતા-પુત્ર સહિત ત્રણને ગણતરીની મિનીટોમાં રહેંસી નાંખતા અમરોલી પોલીસ દોડતી થઇ ગઇ હતી.

અમરોલીના અંજની ઇન્ડસ્ટ્રીયલ રોડ પર આવેલા વેદાંત ટેક્ષો નામની ઇન્ડસ્ટ્રીયલ સોસાયટીના પ્લોટ નં. 8 માં આવેલા એમ્બ્રોઇડરી કારખાનાના માલિક ધનજી રણછોડ ધોળકીયા (ઉ.વ. 61 રહે. 22, શીવદર્શન સોસાયટી, કતારગામ) અને તેનો પુત્ર કલ્પેશ ધનજી ધોળકીયા (ઉ.વ. 35) આજે સવારે રાબેતા મુજબ સવારે 8 વાગ્યાના અરસામાં કારખાને ગયા હતા. તે દરમિયાન કોસાડ આવાસમાં રહેતા કારખાનાના નાઇટ શીફ્ટના બે કારીગર દીપક રાકેશ ડાકવા (ઉ.વ. 18 મૂળ રહે. સુમંડલ, તા. બ્રહ્મપુર, જિ. ગંજામ, ઓડીશા) અને આશીષ મહેશ્વર રાઉત (ઉ.વ. 18 મૂળ રહે. ભીલાયાજર, તા. કોદમા, જિ. ગંજામ, ઓડીશા) બંને સૂતેલા હતા. જેથી પિતા-પુત્રએ બંનેને ઉઠાડી કામ કરવાને બદલે કેમ સૂતેલા છે એમ કહી ઠપકો આપતા તેઓ વચ્ચે ગાળાગાળી થઇ હતી. કારખાનેદાર પિતા-પુત્ર અને બંને કારીગર વચ્ચે થયેલા ઝઘડાને પગલે બંને કારીગરને નોકરી પરથી કાઢી મુકવામાં આવ્યા હતા. જેથી દીપક અને આશિષ તેમનો કપડા અને સામાન લઇ ત્યાંથી નીકળી ગયા હતા.

જો કે થોડા સમયમાં તેઓ પરત આવ્યા હતા અને બાકી પગારની માંગણી કરી હતી. જેથી ધનજીભાઇ અને કલ્પેશ સાથે તેઓનો પુનઃ ઝઘડો થતા એકબીજાને અપશબ્દો ઉચ્ચારતા વાત વણસી ગઇ હતી અને દીપક તથા આશિષ ચપ્પુ અને ફટકો લઇ પિતા-પુત્ર પર તૂટી પડયા હતા. જેમાં ધનજીભાઇને પેટ, છાતી, પીઠ, જાંઘના ભાગે સાતથી આઠ ઘા ઝીંકયા હતા. જયારે પુત્ર કલ્પેશને પણ પેટ, છાતી. ગળા અને બાવડાના ભાગે પાંચથી છ ઘા ઝીંકયા હતા. આ અરસામાં જ ધનજીભાઇના કારખાનાની બાજુમાં ખુલ્લો પ્લોટ ધરાવતા કલ્પેશના મામા ઘનશ્યામ વાલાભાઇ રજોડીયા (ઉ.વ. 51 રહે. વંદનમ બંગ્લોઝ, માતૃશ્રી ફાર્મની બાજુમાં, મોટા વરાછા) ત્યાં આવી પહોંચતા તેઓ બચાવવા દોડયા હતા. પરંતુ દીપક અને આશિષ તેમની ઉપર પણ તૂટી પડયા હતા અને ફટકા વડે માથા તથા ચપ્પુ વડે પેટ અને ગળાના ભાગે ઇજા પહોંચાડી ત્યાંથી ભાગી ગયા હતા.

ઘટનાને પગલે સ્થાનિક કારખાનાના કારીગરો દોડી આવ્યા હતા અને તુરંત જ ત્રણેયને સારવાર માટે હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા. પરંતુ તબીબોએ ત્રણેયને મૃત જાહેર કર્યા હતા. ઘટનાને પગલે ઉચ્ચ પોલીસ અધિકારીઓ તુરંત જ દોડી ગયા હતા અને હત્યારા બંને કારીગરની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી હતી.

ગૃહ રાજયમંત્રીએ SIT બનાવી સાત દિવસમાં ચાર્જશીટ સાથે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવવા સૂચના આપી 
નોકરીમાંથી કાઢી મુકતા બાકી પગારના મુદ્દે કારખાનેદાર પિતા-પુત્ર સહિત ત્રણને મોતને ઘાત ઉતારવાની ઘટનાને પગલે ચકચાર મચી જવાની સાથે કતારગામના ધારાસભ્ય વિનુ મોરડીયા પણ હોસ્પિટલ ખાતે દોડી ગયા હતા. જયારે રાજયના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ શહેરના ઉદ્યોગપતિ અને પોલીસ કમિશ્નર અજય તોમર સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઇ ઝડપી ન્યાયિક પ્રક્રિયા હાથ ધરાય તે માટે બે ડીસીપી અને ત્રણ ઇન્સ્પેક્ટરોની એક એસઆઇટીની રચના કરવામાં આવી છે. જેમાં સાંયોગિક અને ફોરેન્સિક પુરાવા એકત્ર કરવાથી લઇ સાત દિવસમાં ચાર્જશીટ રજૂ કરી ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવવા માટે સૂચના આપી છે.

સમગ્ર ઘટનાના વાયરલ થયેલા વિડીયોએ લોકોને ધુજાવ્યા
અમરોલીના વેદાંતા ટેક્ષોમાં સવારના સમયે ખેલાયેલા ખૂની ખેલને પગલે ભારે ચકચાર મચી જવા પામી છે. આશ્ચર્યની બાબત એ છે કે આ સમગ્ર ઘટનાનો વિડીયો વાયરલ થયો છે જેમાં બંને કારીગર કારખાનેદારને ઉપરાછાપરી ચપ્પુના ઘા ઝીંકવા ઉપરાંત ફટકા વડે બેરહમી પૂર્વક મારતા નજરે પડી રહ્યો છે. સોશ્યિલ મિડીયામાં વાયરલ થયેલા વિડીયોને પગલે સમગ્ર ઘટના જોઇ લોકો ઘ્રુજી ગયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *