ગુજરાતી યુવકને આ દુલ્હન સાથે લગ્ન કરવા મોંઘા પડ્યા, જાણો કેમ?

લૂંટેરી દુલ્હનના કિસ્સા અવારનવાર બનતા હોય છે. જેઓ પૈસાની માંગણી કરીને છોકરીઓને દુલ્હન તરીકે મોકલતા હોય છે. જેમાં મોટો ભાગ દલાલો ભજવતા હોય છે. જેવા કિસ્સાના અનેક પરિવારો ભોગ પણ બની ચૂકેલા છે. ત્યારે એવો જ એક કિસ્સો કલોલમાં બન્યો જ્યાં એક બ્રાહ્મણ પરિવાર લૂંટેરી દુલ્હનનો ભોગ બન્યો છે. દુલ્હને પહેલા લગ્ન કર્યા અને પતિ સાથે તેના સાસરિયા આવી. મહિના બાદ પિયર જઈને 4 દિવસમાં પરત ફરીશ કહીંને આવી જ નહીં! ત્યારે આ ઘટના ક્યારે બની..?કેવી રીતે બની..? કોણ કોણ આ કાંડમાં સંડોવાયેલા હતા..? ત્યાં સુધીની દરેક વાતનો જવાબ મેળવીએ આ અહેવાલમાં…

કલોલ ઈસંડ ગામમાં રહેતા બ્રાહ્મણ પરિવારનો દીકરો લગ્ન ઈચ્છુક હોવાથી પરિવાર દીકરીની શોધમાં હતો. જેથી છત્રાલ ગામમાં રહેતા ગોરધન પ્રજાપતિ જેઓને પરિવાર દોઢેક વર્ષથી જાણતો હતો. જેથી દીકરા માટે વહુ શોધવા માટે ગોરધન પ્રજાપતિને જણાવ્યું હતું. ગોરધન પ્રજાપતિએ પણ આવી રીતે બે-ત્રણ જણને લગ્ન માટે દીકરીઓ લાવી આપવી હોવાથી એવી જાણ બ્રાહ્મણ પરિવારને હતી.

જેથી ગોરધન પ્રજાપતિ બ્રાહ્મણ પરિવારનું ઘર જોવાનો આગ્રહ કર્યો, ગોરધન પ્રજાપતિના કહેવા મુજબ કે દીકરી આપવાની હોવાથી ઘર કેવું છે પરિવાર કેવો છે તે મારે જોવું પડે. ત્યારબાદ હું દીકરી લાવી આપું. જેથી એક દિવસ ગોરધન પ્રજાપતિ બ્રાહ્મણ પરિવારના ઘરે ઈસંડ ગામે ઘર જોવા માટે ગયા. જમવાના સમયે આવેલા હોવાથી બ્રાહ્મણ પરિવારે ગોરધન પ્રજાપતિને જમાડીને મોકલ્યા.

બ્રાહ્મણ પરિવારનું ઘર જોયા બાદ ગોરધનભાઈ પ્રજાપતિ દીકરી લાવી આપવા માટે રાજી થઈ ગયા. જે બાબતને લઈને ગોરધનભાઈએ દીકરી શોધી પણ આપી. દીકરી જોવા માટે જવાનું છે એમ કહી ગોરધનભાઈ પ્રજાપતિ અમદાવાદમાં નરોડા બ્રાહ્મણ પરિવારના સભ્યોને લઈને વીમુબેન રાજેશભાઈ રાજાનાં ત્યાં પહોંચ્યા હતા. દીકરી જોયા બાદ બ્રાહ્મણ પરિવારને દીકરી ગમી જતા તેઓએ હા પાડી દીધી. જેથી દલાલ ગોરધન પ્રજાપતિએ દીકરી સાથે લગ્ન કરવા પેટેના 1.5 લાખ રૂપિયાની અવેજ રકમની માંગણી કરી. જે બાબતે બ્રાહ્મણ પરિવાર પણ તૈયાર થઈ ગયો.

બતાવેલ છોકરીનું નામ સાધના જણાવવામાં આવ્યું હતુ. બ્રાહ્મણ પરિવારને છોકરી ગમી જતા નક્કી થયેલા 1,50,000માંથી ટોકન રૂપે 30,000 રૂપિયા પણ વીમુબેન રાજેશભાઈ રાજાના હાથમાં આપવામાં આવ્યા હતા. પૈસા આપ્યા બાદ લગ્નની તારીખ 20/11/2022 પણ નક્કી કરવામાં આવી. લગ્નની તારીખ નક્કી કર્યા બાદ લગ્ન માટે કલોલ કોર્ટમાં તમામ દલાલો તેમજ છોકરી સાધના હાજર હતા. તે સમય દરમિયાન વકીલે લૂંટેરી દુલ્હનના ડોક્યુમેન્ટ પેટે આધાર કાર્ડ માંગ્યું. જે આધાર કાર્ડ લૂંટેરી દુલ્હન પાસે હતું નહીં. જેથી વકીલે કોર્ટ મેરેજ કરવાની ના પાડી દીધી હતી. ત્યારબાદ વકીલની સમજૂતી પછી રૂ. 300ના સ્ટેમ્પ ઉપર સોગંદનામુ કરવામાં આવ્યું. જે સોગંદનામાં કરવા માટે બાકીના પૈસા આપી દો એમ કહી 1,20,000 રૂપિયા આપ્યા બાદ તમામ દલાલો પોતાની સહી સાથે સોગંદનામુ કરી આપ્યું હતું.

ત્યારબાદ બ્રાહ્મણ પરિવારે રિતી રિવાજથી કલોલ ગામે મહાકાળી મંદિરમાં લગ્ન કર્યા. લગ્ન કર્યા બાદ આશરે એકાદ માસ લૂંટેરી દુલ્હન સાધના ઘરમાં તમામ સભ્યો સાથે સારી રીતે રહેતી હતી. તે દરમિયાન વીમુબેન રાજેશભાઈ રાજા બ્રાહ્મણ પરિવારના ઘરે ગયા હતા‌. ત્યાં જઈને તેમની સાધનાને પોતાના ઘરે લઈ જવા માટે કહેવા લાગ્યા. જેથી બ્રાહ્મણ પરિવારે તારીખ 18/12ના રોજ સાધનાને વીમુબેન સાથે મોકલી આપી હતી. સાધના જતા જતા ભેટે પડીને સાસુને રોઈ ગઈ હતી અને જતા જતા એટલું કહીં ગઈ હતી કે, હું અઠવાડિયું નહીં પણ ચાર જ દિવસમાં પાછી આવી જઈશ. મમ્મી મને તમારા વગર નથી ફાવતું.

ચાર દિવસનું કહીંને ગયેલી લૂંટેરી દુલ્હન સાધના પરત ફરી ન હતી. જેથી બ્રાહ્મણ પરિવારે અવારનવાર ફોન કર્યા તો વીમુ બેહને ફોન ઉચકવાના પણ બંધ કરી દીધા હતા. ત્યારબાદ અચાનક જ તારીખ 2/1/2023ના રોજ સાધનાનો ફોન ભોગ બનેલા પતિ ઉપર આવ્યો અને સાધના લૂંટેરી દુલ્હનને જણાવ્યું કે, તમે મને લેવા માટે નરોડા ખાતે વીમુબેનના ઘરે આવી જાવ. જેથી બ્રાહ્મણ પરિવારનો દીકરો તેમજ દીકરી તેમજ મમ્મી એમ બધા સભ્યો ભેગા મળીને નરોડા ખાતે રહેતા વીમુબેનના ઘરે ગયા હતા. તો ત્યાં સાધના હાજર ન હતી. ત્યાં રમીલાબેન કરીને કોઈ હાજર હતા. તેમને બ્રાહ્મણ પરિવારે પૂછ્યું કે, સાધના ક્યાં ગઈ છે?. તો તેણીએ જણાવ્યું કે, સાધના ક્યાં છે તેની મને કોઈ જાણ નથી. ત્યારબાદ વીમુ બેનનું પૂછતા વીમુબેન પણ ક્યાં છે એ મને ખ્યાલ નથી. એમ કહેતા બ્રાહ્મણ પરિવાર પોતાના ગામ પરત ફરી ગયો હતો.

ત્યારબાદ તારીખ 4/1/23ના રોજ છત્રાલ ખાતે રહેતા દલાલ ગોરધન પ્રજાપતિનો ફોન આવ્યો હતો અને તેમણે જણાવ્યું હતું કે, તમામ દલાલ વીમુબેન, રમીલાબેન ઉર્ફે સરોજબેન, તેમજ લૂંટેરી દુલ્હન સાધના પણ કલોલ ગાયત્રી મંદિર ખાતે આવ્યા હતા અને બ્રાહ્મણ પરિવારને પણ બોલાવ્યા હતા. ત્યાં તેઓએ સાધના તમારા ઘરે હવે નહીં આવે તેવી વાત કરી હતી. જેથી બ્રાહ્મણ પરિવારે સાધનાના અવેજ પેટે જે દોઢ લાખ રૂપિયા આપ્યા હતા. તેની માંગણી કરતા ગોરધનભાઈ પ્રજાપતિએ પૈસા હવે નહીં મળે તેમ કહી દલાલો તેમજ લૂંટેરી દુલ્હન ત્યાંથી નીકળી ગયા હતા. ત્યારબાદ બ્રાહ્મણ પરિવારે આ તમામ દલાલો તેમજ લૂંટેરી દુલ્હન સાધના વિરુદ્ધ ગુનો દાખલ કરવા માટે ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલ સુધી રજૂઆત કરવાનું સામે આવ્યું છે. ત્યારે કલોલ તાલુકા પોલીસે આ બાબતે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *